પુસ્તકમાં નીચે પ્રમાણે કેટલીક પાયાની વાતો મૂકવામાં આવી છે.
કોઈ કામમાં કૌશલ્ય સારું વપરાય તેટલું પૂરતું ન ગણવું જોઈએ. વધુ કમાણી કરવા કે પ્રતિષ્ઠા મેળવવા માટે મૂલ્યોમાં બાંધછોડ ન કરાય.
ટેકનોલોજી તેમજ વિજ્ઞાનની વેગવંત પ્રગતિને કારણે બજારમાં અનુકૂળતાઓ વધારે ને વધારે પ્રાપ્ત થઈ છે. ઉપકરણો આદિનો લાભ લઈ આર્થિક વ્યવહારો આગળ વધ્યા છે. પરંતુ માનવ મૂલ્યો પર નફાનું આક્રમણ સ્વીકારી શકાય નહીં. જીવનનું ચાલક બળ “મૂલ્યો આધારિત કામ’ જ હોવું જોઈએ.
આજે પરિશ્રમ કરવાને બદલે બુદ્ધિનું કામ કરીને ચાતુર્ય પ્રગટાવવાનું એ જીવનને સુખી કરવાનો શ્રેષ્ઠ માર્ગ થઈ ચૂક્યો છે, તે ખોટું છે.
આજકાલ પરિસ્થિતિ એ છે કે ડોક્ટર જો મોટી મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં ફરજ ન બજાવતો હોય તો તેની કિંમત ઓછી આંકવામાં આવે છે. કોર્પોરેટ જગતે હોસ્પિટલને કમાણીનું સાધન બનાવી મૂક્યું છે.
સ્વતંત્ર દવાખાનું ચલાવનાર પાસે લાચાર લોકો જ સલાહ લે છે. તેવી ખોટી સમજણ સમાજમાં ફેલાઈ ગઈ છે. આરોગ્ય ક્ષેત્રે મોંઘા મોંઘા સાધનો. (જેને ચલાવવા માટે ખાસ પ્રકારના ટેકનિશિયનોની જરૂર પડે) દ્વારા નિદાન કરવામાં આવે તોજ સાજા થઈ શકાય તેવી ખોટી સમજણ પણ ફેલાઈ ગઈ છે.
આજે ભૂતકાળની સમજણોનું મહત્ત્વ રહ્યું નથી કેવળ આજની ઘટનાઓ તેમજ ભાવિના અંદાજો, કે તુક્કાઓ કેન્દ્રમાં મુકાતાં ગયા છે.
જ્યાં સુધી ફક્ત વાંચીને નિર્ણય કરવાની રીત ચાલતી હતી, ત્યારે વિચારવાનો અવકાશ હતો આજે તો ટી.વી. ઉપર રજૂ થાય તેમાં જાણે તરત જ નિર્ણય કરીને આગળ વધવાનો માહોલ થઈ ગયો છે. આપણે વણ વિચાર્યો પ્રતિસાદ આપતા થઈ ગયા છીએ.
મોટાભાગે એવી માન્યતા પ્રવર્તી રહી છે કે – માનવના ઉદ્દેશો અને પ્રયત્નોનો કોઈ અર્થ નથી. કારણ આખરે તો “હરિ કરે સો હોય” એ ભાવ પર નભવાનું ચાલી રહ્યું છે. આધુનિક કહેવાતા, જ્ઞાની ગણાવનારા વર્ગમાં પણ એવી માન્યતા દેખાય છે કે કોઈ ‘અદૃશ્ય હાથ (invisible hand) એવો ફરશે કે સૌ કોઈ સ્વાર્થ સાધવામાં પડ્યા હોય તોયે બધું સમુસુતરું થઈ જ જશે !
પુસ્તકમાં પ્રકરણ 4, 5 અને 6માં ડી.એન.એ. જિનેટિક્સ (સુપ્રજનન ક્ષેત્ર) અંગે ઘણી પાયાની વિગતો સાથે વિષયને ન્યાય આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. 1954ના વર્ષમાં ડી.એન.એ.ની શોધ થઈ, 1978માં પ્રયોગશાળામાં બાળક (ટેસ્ટટ્યુબ બેબી) ઉત્પન્ન કરવાનું થયું. વર્ષ 1989માં આરોગ્યપદ કણો સ્ટેમ સેલ શરીરમાં મુકવાનું ચાલુ થયું.
આ ક્ષેત્રમાં કેટલાક આજીવન સંશોધક રહ્યા. કેટલાકે આમાંથી લાભ મેળવવાનું ચાલુ કર્યું. આ ક્ષેત્રમાં વિજ્ઞાની ને યશ મળવાના સ્થાને જે યુનિવર્સિટીમાં કામ કરે તેનું નામ ગજવવામાં આવે છે. તેમજ જે ખાનગી કંપનીમાં કામ કરે તે, તેના પર વ્યાપાર કરે છે અને પેટન્ટ મેળવે છે. વિજ્ઞાની જાણે તેમને ત્યાં માત્ર નોકરી કરતો હોય તેવો માહોલ બનાવી દેવામાં આવે છે.
વિજ્ઞાનીઓની જવાબદારીઓ : (1) સમાજ પ્રત્યે (2) ક્ષેત્ર વિષય પ્રત્યેની (3) સાથીઓ પ્રત્યે (4) જાત પ્રત્યે (5) સંસ્થા પ્રત્યે હોય તે જરૂરી છે.
આનુવંશિકતા અંગેના રોગો પર અસર કરનારી ઉપયોગી નવી દવાઓમાંની 96 ટકા દવાઓ અભ્યાસુ વિજ્ઞાનિઓજ નિર્માણ કરે છે. જ્યારે કંપનીઓ સાથે જોડાઈ કામ કરતા બજારના વૈજ્ઞાનિઓ માંડ બે ટકા નવી દવાની શોધ કરી શકયું છે. પરંતુ બજારમાં વેચાતી દવાઓમાં 95 ટકા કારખાનામાં બનાવેલી દવાઓજ વેચાય છે. માંડ પાંચ ટકા અભ્યાસુ વિજ્ઞાનીઓએ તૈયાર કરેલી દવાઓ વેચાય છે.
45 ટકા સુપ્રજનન (જીનેટિકલ) ક્ષેત્રના વિજ્ઞાનિઓ ઉદ્યોગની (કોર્પોરેટ સેક્ટરની) સહાયને ઉપયોગી ગણે છે. 40 ટકા શુદ્ધ, સંશોધનની તરફેણ કરનારા છે. બાકીના 15 ટકા ‘નફા’ વાળી વાત વિષે નફરત ધરાવનારા છે.
પુસ્તકના પાન નં 36, 37, 38, 39માં જીનેટિક સંશોધન ક્ષેત્રે કેટલાક વિચારવાન, કેટલાક સાવધાનીના, કેટલાક બજારીકરણના મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા છે. આ ક્ષેત્રે ચિંતા કરવા જેવું નથી તેમ પણ કહેવાય છે. આ ક્ષેત્રમાં થતા સંશોધનની માહિતી સંપૂર્ણપણે જાહેર જનતાને જણાવવી જોઈએ તેમ પણ કહેવાયું છે.
પુસ્તકમાં પ્રકરણ 7, 8 અને 9 પત્રકારત્વ અંગેના છે આજના પત્રકારો નૈતિક ધોરણોનો ખાતમો બોલાવીને ગુણવત્તાહીન વાતો ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આમાં મુખ્યત્વે વ્યાપારિક ગણતરીઓએ વધુ ભાગ ભજવ્યો છે. આજે છાપું વધારેને વધારે કેવી રીતે વેચાય તેના પરજ સંચાલકો વધુ ધ્યાન આપે છે.
પુસ્તકના લેખકોનું સ્પષ્ટ માનવું છે કે પત્રકારિત્વ ક્ષેત્રનું ધ્યેય તો સત્યને પ્રગટ કરવાનું હોઈ શકે પરંતુ આજે તો સારા સમાચાર અને મોનરંજન પૂરું પાડનાર વચ્ચેની ભેદરેખા ઓળંગવાનો લોભ વધતો જ ગયો છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના એક સંપાદકનો મંત્ર હતો ‘All the News that is fit to Print’ છાપવું તે જ જે સુયોગ્ય હોય.
પત્રકારિત્વ અને તેમજ સુપ્રજનન (જીનેટીક) ક્ષેત્રના વૈજ્ઞાનિક પર બજાર અને લોભામણા વાતાવરણનું દબાણ છે ત્યારે સાત્વિકતા જાળવવા માટે (1) સુયોગ્ય સંસ્થા કે સંગઠન રચવું. (2) આવી સંસ્થામાં જુદી સમજણ તેમજ નિષ્ઠા ધરાવનારાઓને સમાવવામાં આવે. (3) સંસ્થાની આવકના 5 ટકા સમાજના કલ્યાણ માટે વાપરવા. (4) સંસ્થા જે મૂલ્યો પ્રસ્થાપિત કરવા સ્થાપી હોય તેને જીવંત રાખવા મથતા રહેવું.
વર્તમાન પડકારોને પહોંચી વળવા સાવધાની રાખી આગળ વધવું પડશે.
શિક્ષિત ક્ષેત્રે ટેકનોલોજીનો પ્રભાવ વધી રહ્યો છે. શિક્ષક વગર કોમ્પ્યુટર દ્વારા Distance Learning શિક્ષણ અપાવવા લાગ્યું છે. આમાં સમાજમાં મૂલ્યો જે શિક્ષક સાથે સંવાદ દ્વારા સ્થપાવવાની શક્યતા રહેતી નથી.
મેડિકલ ક્ષેત્રે તેમજ ન્યાય ક્ષેત્રે, ડોક્ટર અને વકિલનો દર્દી તેમજ અસીલો સાથેનો સંપર્ક ઘટતો થઈ રહ્યો છે આમાં ઘણાં પ્રશ્ર્નો ઉણપો રહેલી છે.
મેડિકલ સેવા અને કાનૂની સગવડો માત્ર ધનિકોને જ અનુકુળ આવે તેવી બનાવવામાં આવી છે.
પુસ્તકના અંતિમ ભાગમાં પ્રાપ્ત સામાજીક સ્થિતિમાં કોઈપણ વ્યકલતિ પોતાને કેવી રીતે જાળવી શકે ? ત્યારે કરીશું શું ?
નવા આયામો ખીલવવા, નવી કુંપણ – નવો આયામ ઉગાડવાનો આનંદ મેળવવો.
જવાબદારીમાં વધારો કરવો. અવળી દિશાના કામોને સાથ આપવાનું નકારતા રહેવું. વિજ્ઞાનીઓ બજારલક્ષી સંશોધનો કરવાના બદલે પાયાની શોધોમાં મથતો રહે.
જરૂર પડે જાતે હોમાઈ, જાય. વૈજ્ઞાનિઓ યુદ્ધ માટેના શસ્ત્રો નિર્માણ કરવાના સંશોધનો કરે જ નહીં. માત્ર સમાજના ભલા માટેના સંશોધનો કરે.
જિનેટિક સંશોધન ક્ષેત્રે પેટન્ટ દ્વારા એકાધિકાર સ્થાપવાનો વિરોધ કરવો અને સારી જવાબદાર સંસ્થા સ્થાપવી.
સ્વસ્થ સમાજના ઘડતર માટે
- વ્યક્તિનો સુયોગ્ય વિકાસ થાય
- ઔચિત્ય યુક્ત જીવન જીવાય
- સમાનતાવાળશે સમાજ બને
- યોગ્ય શિક્ષણ વ્યવસ્થા, સ્થપાય તેવા કામો કરવા જોઈએ.
છેલ્લે લેખક કહે છે “જીવીશું તો સિદ્ધાંતોને ખાતર જ” 94 વર્ષની ઉંમરે શ્રી જ્યોતિભાઈએ 300 ઉપરાંત પાનાના પુસ્તકને માત્ર 74 પાનામાં સમાવીને વાચકની સારાી એવી સેવા કરી છે, તે માટે અભિનંદન જરૂરથી પાઠવવા રહ્યા.
રજૂઆત : રજની દવે

સારું કામ – લેખકો ડાવર્ડ ગાર્ડનર અને સાથીદારો.
સારાનુવાદ : જ્યોતિભાઈ દેસાઈ, પૃષ્ઠ 74, રૂ. 25/-.
પ્રકાશક : વિચાર વલોણું પરિવાર,
406, વિમૂતિ કોમ્પ્લેક્ષ, ઓક્ષફર્ડ ટાવર સામે, ગુરુકૂલ રોડ, અમદાવાદ 380052. મો.: 9898038452